રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા અને મહાત્મા ગાંધી મ્યુઝિયમમાં મેનેજર તરીકે ફરજ બજાવતા દેવલભાઈ રમેશભાઈ બારીયા (ઉ.વ.41)એ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. ગાંધીગ્રામ વિસ્તારમાં હરિકૃષ્ણ હાઈટ્સ એપાર્ટમેન્ટ બી વિંગ 101માં રહેતા દેવલભાઈએ આજે સવારે ઘરે હતા, ત્યારે પંખામાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસને જાણ થતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં મૃતક દેવલભાઈ બે ભાઈ અને એક બહેનમાં બીજા નંબરના હતા તેમને સંતાનમાં એક દીકરો છે. પોતે ગાંધી મ્યુઝિયમમાં મેનેજર તરીકે કોન્ટ્રાકટ બેઇઝ નોકરી કરતા હતા. જો કે આપઘાત ક્યાં કારણે કર્યો તે અંગે પરિવારજનો પણ અજાણ હોવાથી પોલીસે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
અન્ય બનાવ મંગલ સુનિલભાઈ વઢવાણીયા (ઉં.વ.38) આજે સવારે 7 વાગ્યાં આસપાસ પોતાના ઘર બહાર શેરીમાં હતો, ત્યારે બેભાન થઈને ઢળી પડ્યો હતો. જેને પરિવારજનો તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં તબીબ દ્વારા તેને તપાસી મૃત જાહેર કરાયો હતો. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. જેના પ્રાથમિક તારણમાં યુવાનને હાર્ટ એટેક આવ્યો હોવાનું સામે આવ્યું છે. મૃતક યુવાન મંગલ શાકભાજી વેચવાનું કામ કરતો અને પોતે ત્રણ ભાઈમાં મોટો હતો તેને સંતાનમાં 4 દીકરા અને 1 દીકરી છે. ગઈકાલે તેને છાતીમાં દુ:ખાવો થતો હોવાની ફરિયાદ પણ પરિવારજનોને કરી હતી જેથી ચુનારાવાડમાં લોકલ ક્લિનિકમાં દવા લીધી હતી પછી આજે ઘર પાસે શેરીમાં હતો ત્યારે ઢળી પડ્યો હતો.