રાજકોટ મહાનગરપાલિકાએ ડિસેમ્બર આવતા જ બાકી વેરાની વસૂલાત શરૂ કરી છે. દરેક મિલકતધારકે વેરો ભરવો એ તેની નૈતિક ફરજ છે અને તેને કારણે શહેરમાં માળખાકીય સુવિધાઓને પણ ફાયદો થાય છે. જોકે આ રિકવરી એક સરખી રીતે થતી હોય તો વાજબી છે પણ મોટા બાકીદારો સામે નતમસ્તક અને નાના બાકીદારો સામે સીલ સુધીની કાર્યવાહી થઇ રહી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો કરોડોનો વેરો બાકી છે તેમજ યુનિવર્સિટીને તો કરોડો રૂપિયાની ગ્રાન્ટ પણ આપવામાં આવે છે આમ છતાં હજુ બાકી વેરો ભરાયો નથી. તે કિસ્સામાં કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. બીજી તરફ મનપાની શૂરી વેરા વસૂલાત શાખા વોર્ડ નં.18માં 40 ફૂટ રોડ પર પહોંચી હતી અને 58800 રૂપિયાના બાકી વેરાને લઈને એક દુકાનને સીલ લગાવી દીધું હતું. જેને લઈને તુરંત જ વેરો ભરવામાં આવ્યો હતો. આ સિવાય આ જ વોર્ડમાં બોલબોલા રોડ પર એક દુકાનને 53300ના માગણા બદલ સીલ કરાતા 2 લાખની રૂપિયાની રિકવરી કરી છે.