રાજકોટ મનપાની વેરા વસુલાત શાખા દ્વારા રીકવરી ઝુંબેશ ચાલી રહી છે. જેમાં આજે વધુ 18 મિલ્કતોને સીલ મારી દેવામાં આવ્યા હતા. જ્યારે 16 મિલ્કતોમાં સીલની કાર્યવાહી કરતા રૂ. 33 લાખની રીકવરી થઇ છે. આજે રાજકોટના પરાબજાર, લોહાણાપરા, કૃષ્ણપરા, કંસારા બજાર, ઢેબર રોડ પર બાકીદારોની મિલ્કતને તાળા મારવામાં આવ્યા હતા.
જેમાં પરાબજાર ખાતેનાં સ્વામીનારાયણ કોમ્પલેક્ષમાં કુલ 7 દુકાનને સીલ મારી દેવામાં આવ્યા હતા. અને લોહાણાપરા મેઇન રોડ પર રઘુનાથજી આર્કેડમાં પણ ચાર દુકાનો સીલ કરી દેવામાં આવી હતી. જુના રાજકોટના અન્ય વિસ્તારોમાં પણ સીલિંગ સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી. જેને પગલે આજે વધુ રૂ. 33.62 લાખની રીકવરી થઈ હતી. તા.1 એપ્રિલ-24થી આજ સુધીની વેરાની આવકનો કુલ આંકડો રૂ. 358.62 કરોડ પર પહોંચ્યો છે.