ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને બનાસકાંઠાના સમસ્ત ઠાકોર સમાજનું આજે પાલનપુરના ચડોતર ગામમાં સ્નેહમિલન યોજાયું છે. 12 દિવસના ગાળામાં જ યોજાયેલા ઠાકોર સમાજના બીજા કાર્યક્રમમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓ ફરીથી એક મંચ પર જોવા મળ્યા છે. 12 દિવસ અગાઉ દિયોદર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર, વાવના ધારાસભ્ય-રાજ્ય સરકારના મંત્રી સ્વરુપજી ઠાકોર અને ગાંધીનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર એક જ મંચ પર જોવા મળ્યા હતા. ત્યારે આજે ફરીથી ચડોતરમાં યોજાયેલા કાર્યક્રમમાં ગેનીબેન ઠાકોર અને અલ્પેશ ઠાકોર આજુબાજુમાં એક જ મંચ પર છે. જોકે, આજે સ્વરુપજી ઠાકોર હાજર નથી જોવા મળી રહ્યા.
‘સરકાર ઠાકોર સમાજ સાથે અન્યાય કરે છે’ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે, વર્તમાન સરકાર ઠાકોર સમાજ સાથે અન્યાય કરે છે. દરેક યોજના હોય કે કોઇ પદ પર સ્થાન આપવાનું હોય એ તમામ બાબતોમાં સરકાર ઠાકોર સમાજ સાથે અન્યાય કરે છે. હમણાં મંત્રી મડળના વિસ્તણમાં પણ ઠાકોર સમાજને જે પ્રભુત્વ મળવું જોઇએ એ નથી મળ્યું. ઠાકોર સમાજના 38 જેટલા ધારાસભ્ય હોવા છતાં સમાજના ધારાસભ્યો સાથે અન્યાય થયો છે. શાસક પક્ષ તરીકે એ ધારાસભ્યો ન બોલી શકે પણ વિપક્ષ તરીકે હું કહું છું કે ઠાકોર સમાજની મશ્કરી થઇ છે.