રાજકોટ શહેરમાં સમાવિષ્ટ નગર રચના યોજના અંતર્ગત જે ટી.પી.સ્કીમો ભ્રષ્ટાચારી સાગઠિયાએ સરકારમાં રજૂ કરેલી છે તે તમામ ટી.પી.સ્કીમ રદ કરવા કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે. આવેદનપત્રમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે, રાજકોટ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઇન્ચાર્જ ટી.પી.અધિકારી મનસુખ સાગઠિયા દ્વારા કલ્પનાતીત ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. આ ભ્રષ્ટ અધિકારીને કારણે 27 લોકોના મૃત્યુ થયા છે. આ કાંડની તપાસમાં એસીબીને રૂ.30 કરોડથી વધુની માલ-મિલકત તેમજ સોનું, રોકડ અને દસ્તાવેજો હાથ લાગ્યા હતા. અમારું સ્પષ્ટપણે માનવું છે કે, જે જે ટી.પી.સ્કીમમાં રાજકોટના મ્યુનિસિપલ જનરલ બોર્ડમાં સાગઠિયા દ્વારા રજૂ કરવામાં આવેલ અને જે જે ટીપી સ્કીમો સરકારમાં મોકલવામાં આવેલ તે તમામ ટી.પી.સ્કીમ રદ કરવી જોઇએ. આવા અનેક પ્રકારના ભ્રષ્ટાચાર સાગઠિયા દ્વારા કરવામાં આવ્યા છે જેમાં ભાજપના આગેવાનો પણ જોડાયેલા હશે?
વર્તમાન ટીઆરપી ગેમ ઝોનની અંદર તપાસ માત્ર સાગઠિયા પૂરતી જ સીમિત રાખવામાં આવી છે. જો આ તપાસને સરકાર દ્વારા ઊંડાણપૂર્વક કરવામાં આવે તો અનેક લોકોના નામ આ ટીઆરપી ગેમ ઝોનના ભ્રષ્ટાચારમાં ખૂલે તેમ છે.