રાજકોટના અમરગઢ ભીચરીમાં આવેલી કરોડો રૂપિયાની જમીન હજમ કરી જવા માટે મૂળ જમીન માલિકના ભળતા નામનો ઉપયોગ કરી તેમના વારસદારોના નામ 7-12માં ચડાવી નકલી દસ્તાવેજ બનાવી નાખવામાં આવ્યા હતા અને તેના આધારે તે જમીન બારોબાર વેચી દેવાઇ હતી. પોલીસે વૃદ્ધાની ફરિયાદ પરથી 29 શખ્સ સામે ગુનો નોંધ્યો હતો.
વાંકાનેરમાં રહેતા અને રાજકોટના ખેરડી ગામના વતની જુબેદાબેન યુસુફભાઇ પીપરવાડિયા (ઉ.વ.79)એ કુવાડવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જુબેદાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના પિતા હાસમભાઇ જીવાભાઇ ઘાંચી અમરગઢ ભીચરીમાં ખેતીની જમીન આવેલી છે. 40 વર્ષ પહેલાં પિતા હાસમભાઇ પણ વાંકાનેર રહેવા જતા રહ્યા હતા અને પાંચ વર્ષ પહેલાં તેમનું નિધન થયું હતું.
તેર મહિના પહેલાં ભીચરીની જમીન વેચવાનું નક્કી કરતાં તે જમીનના 7-12ના દાખલા કાઢવતા તે જમીન હિતેષ પ્રેમજી સેલિયા અને અનિલ વિઠ્ઠલ ખૂંટના નામની હોવાનું જાણવા મળ્યું હતું. આ બાબતે તપાસ કરતાં હાસમભાઇ જીવાભાઇ ઘાંચીની જમીનમાં હાસમ જીવા ગીગા ધાડાના વારસદારો હવીબેન હાસમ, મમુબેન હાસમ સહિત 29 શખ્સે ગેરકાયદેસરનું સોગંદનામું તથા પેઢીનામું બનાવી રેવન્યુ કચેરીમાં રજૂ કર્યું હતું અને જમીનના વારસદારો તરીકે પોતાના નામની એન્ટ્રી કરાવી હતી.
જોકે રાજકોટ જિલ્લા કલેક્ટરે જમીનમાં ફેરફાર બાબતે મનાઇ હુકમ ફરમાવ્યો હોવાથી આયુષ કમલેશ રામાણીના નામે આ જમીન રેવન્યુ રેકર્ડમાં ચડી નહોતી. આમ ગેરકાયદેસર રીતે હાસમ જીવા ધાડાના વારસદારોએ ખોટું સોગંદનામું તથા પેઢીનામું રજૂ કરી ખોટા વારસદારો ઊભા કરી જમીન વેચી નાખી હતી.