ભારતે બાંગ્લાદેશની મદદ ઘટાડીને અડધી કરી

ભારત સરકારે કેન્દ્રીય બજેટ 2026-27માં બાંગ્લાદેશને અપાતી મદદમાં મોટો ઘટાડો કર્યો છે. આ વર્ષે બાંગ્લાદેશ માટે માત્ર 60 કરોડ રૂપિયા રાખવામાં આવ્યા છે, જ્યારે ગયા વર્ષે 120 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. એટલે કે ભારતે બાંગ્લાદેશની મદદ અડધી કરી દીધી છે.

આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે ભારત અને બાંગ્લાદેશના સંબંધોમાં તણાવ ચાલી રહ્યો છે. તેનું કારણ બાંગ્લાદેશમાં લઘુમતીઓ, ખાસ કરીને હિંદુ સમુદાય વિરુદ્ધ થઈ રહેલી હિંસા અને ત્યાંની વિદેશ નીતિમાં બદલાવ આવી રહ્યો છે. 2024માં શેખ હસીનાની સરકાર પડ્યા પછી બાંગ્લાદેશે પાકિસ્તાન સાથેના પોતાના સંબંધો મજબૂત કરવાનું શરૂ કર્યું છે.

બાંગ્લાદેશ ઉપરાંત માલદીવને 550 કરોડ રૂપિયા મળશે, પરંતુ તે ગયા વર્ષ કરતાં ઓછું છે. મ્યાનમાર માટે 300 કરોડ રૂપિયા રાખવામાં આવ્યા છે, જે પહેલાં કરતાં ઓછા છે. આ બજેટમાં ભારતે ભૂટાન માટે 2,288.55 કરોડ રૂપિયા રાખ્યા છે, જે ગયા વર્ષ કરતાં લગભગ 138 કરોડ રૂપિયા વધુ છે.

ભારત બોલ્યું- બાંગ્લાદેશમાં લઘુમતીઓની સ્થિતિ પર અમારી નજર

વિદેશ મંત્રાલયે 29 જાન્યુઆરીએ રાજ્યસભાને જણાવ્યું કે ભારત સરકાર બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર થઈ રહેલા હુમલાઓના અહેવાલો પર સતત નજર રાખી રહી છે. આ હુમલાઓમાં તેમના ઘરો, દુકાનો, સંપત્તિઓ અને પૂજા સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા છે.

વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે જણાવ્યું કે ભારતે અનેકવાર રાજકીય અને રાજદ્વારી સ્તરે બાંગ્લાદેશ સરકાર સમક્ષ લઘુમતીઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે એ પણ જણાવ્યું કે PM મોદીએ 4 એપ્રિલ 2025ના રોજ બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ સાથે મુલાકાત દરમિયાન આ મામલો ઉઠાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *