ભાયાવદરમાં ભૂગર્ભ ગટરના ગંદા પાણી અવારનવાર રોડ રસ્તા ઉપર ફરી વળતા હોવાથી તે વિસ્તારના વેપારીઓ અને રાહદારીઓ પરેશાની ભોગવી રહ્યા છે. કારણ કે આ પાણી એટલું ગંદુ હોવાથી ભારે દુર્ગંધ અને વાસ મારતું હોવાથી વેપારીઓને કાયદેસર મોઢા ઉપર રૂમાલ રાખવો પડે છે તેવી નોબત આવી ગઈ હતી.અહીંથી પસાર થતા લોકોને પણ નર્કાગાર જેવો અહેસાસ થયા વિના રહેતો નથી.
હજુ તો ચોમાસું આવ્યું પણ નથી ત્યાં ગટરો ઉભરાઇને છલકાવા લાગી છે તો ભારે વરસાદમાં ક્યા હાલ થશે એ તો વિચાર જ કરી શકાય તેમ નથી. ભાયાવદર શહેરમાં આવેલી ભૂગર્ભ ગટરની કુંડીઓ ગંદા પાણી અને કચરાથી જામ થઈ ગઈ છે તેને સમયાંતરે સાફ કરવાની હોય છે પરંતુ તંત્ર પાસે તેનો સમય નથી.
નિયમિત સાફસફાઇના અભાવે તે ભરાઈ જતા તેમનું ગંદુ વાસ મારતું પાણી ઊભરીને બહાર રોડ રસ્તા ઉપર આવી જાય છે ત્યારે નવા બસ સ્ટેન્ડ સામે આવેલી કુંડી તો મહિનામાં 7 થી 8 દિવસ જ સરખી કામ કરે, બાકીના સમયમા તો ઉભરાતી જ હોય છે. આ ગટર ફરી જામ થઈ જતા આ ભૂગર્ભ ગટરનું ગંદુ અને વાસ મારતું પાણી છેક બસ સ્ટેન્ડથી અડધો કિલોમીટર ખાખીજાળીયા રોડ સુધી પહોંચી જતું હોવાથી તે આખા રોડ ઉપર આ ગંદા પાણીની રેલમછેલમ જોવા મળે છે.