ભાદરવી અમાસે ગોંડલના અક્ષર મંદિરે વિરાટ વૈદિક મહાપુજા યોજવામાં આવી હતી. જેમાં એક હજારથી વધુ યજમાનોએ લાભ મેળવ્યો હતો. પવિત્ર ગોંડલી નદીના કિનારે અક્ષરઘાટ પર બ્રાહ્મ મુહુર્તમાં સર્વે યજમાનોએ ઠાકોરજીને કેસરજળથી અભિષેકનો લ્હાવો પ્રાપ્ત કર્યો.
વહેલી સવારે ૦૫:૦૦ વાગ્યે પ્રચંડ જયઘોષ સાથે વિરાટ વૈદિક મહાપુજાનો શુભારંભ થયો.સંતોની પાવન ઉપસ્થિતીમાં ઠાકોરજીની ષોડશોપચાર દ્રવ્યોથી વિધીવત મહાપુજા કરવામાં આવી. જેમાં ભક્તિભાવથી સર્વે યજમાનો પણ જોડાયા. આ તકે ગોંડલન ધારાસભ્ય શ્રીમતિ ગીતાબા જયરાજસિંહ જાડેજા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
મહાપુજાના સમાપનમાં કોઠારી દિવ્યપુરુષ સ્વામીએ મંગલ પ્રાર્થના સાથે સૌને શુભાશિષ પાઠવ્યા. અત્રે ઉલ્લેખનીય છે કે અહીં પંચ દિવસીય શ્રીમદ્ ભાગવત પુરાણ વ્યાખ્યાનમાળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
જેમા BAPS સંસ્થાનાં વિદ્વાન વક્તા સંત અક્ષરકીર્તિ સ્વામીએ વ્યાસાને બિરાજી શ્રીમદ્ ભાગવત ગ્રંથનાં આધારે કથામૃતનું પાન કરાવ્યું હતું. આ વ્યાખ્યાનમાળામાં પણ બહોળી સંખ્યામાં હરિભક્તોએ લાભ પ્રાપ્ત કર્યો હતો.