વડોદરા જિલ્લાના પાંચ ધારાસભ્યોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને અધિકારીઓ કામ ન કરતા હોવાની ફરિયાદ કરી છે. તેમજ અધિકારીઓની માનસિકતા સામે જ અનેક સવાલો ઉઠાવ્યા છે. ધારાસભ્ય કેતન ઇનામદાર,અક્ષય પટેલ, શૈલેષ મહેતા, ચૈતન્યસિંહ ઝાલા અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા લખાયેલા આ પત્રમાં ‘વંદે માતરમ્’થી શરૂઆત કરી અધિકારીઓની ટીકા કરી છે. ઉલ્લેખીનય છે કે આ પહેલાં 2017ની વિધાનસભા ચૂંટણી બાદ ત્રણ ધારાસભ્યોએ સર્કિટ હાઉસ પર બેઠક બોલાવી કામ થતાં ન હોવાનો બળાપો કાઢ્યો હતો.
મુખ્યમંત્રીને પત્ર લખનાર જિલ્લાના તમામ ધારાસભ્યો સાથે ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો હતો. જેમાં કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ, ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા, વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે કોઈ પ્રત્યુતર આપ્યો નહોતો.
જ્યારે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, આ બાબતે અમે મુખ્યમત્રીને કાર્યાલય ખાતે રજૂઆત કરી છે. અમને વિશ્વાસ છે કે આ રજૂઆતને મુખ્યમંત્રી ધ્યાન પર લઈ યોગ્ય નિકાલ લાવશે અને જવાદાર અધિકારીઓ સામે પગલાં લઈ પ્રજાના પ્રશ્નોનો જલ્દી નિકાલ આવે તેવી વ્યવસ્થા ગોઠવશે.