વડોદરા શહેરના હૃદયસ્થળ માંડવી ખાતે આવેલ શ્રી નરસિંહજી મંદિરનો 288મો પરંપરાગત વરઘોડો આજે ભક્તિભાવે અને ધામધૂમથી નીકળ્યો. ભગવાન નરસિંહજીની પાલખી નિજ મંદિરથી વિધિવત રીતે બહાર પધારતાં જ ભક્તોમાં આનંદની લહેર દોડી ગઈ હતી. શહેરના વિવિધ વિસ્તારોમાંથી હજારો ભક્તો વરઘોડાનો લાભ લેવા માટે ઉમટી પડ્યા હતા. ફૂલોના વરસાદ વચ્ચે ભગવાનના જયઘોષના નાદ ગુંજી ઉઠ્યા હતા. મોડી રાત્રે વરઘોડો તુલસી વાડી ખાતે પહોંચશે, જ્યાં તુલસી વિવાહનું ધાર્મિક વિધિપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે.
વડોદરામાં આજે નીકળેલા ભગવાન નરસિંહજીના ઐતિહાસિક વરઘોડાના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. આ દ્રશ્યો પરથી ખ્યાલ આવે છે કે, વડોદરાના રાજમાર્ગો પર ભક્તિનો કેવો અપાર મહાસાગર ઉમટ્યો હતો. હજારોની સંખ્યામાં ભક્તોએ આ નગરયાત્રાના દર્શન કર્યા હતા. આ ઐતિહાસિક યાત્રા દરમિયાન વડોદરાના રાજમાર્ગો પર ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું. ડ્રોન કેમેરા દ્વારા લેવાયેલા વરઘોડાના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં ભક્તિનો અદ્ભૂત અને વિરાટ નજારો સ્પષ્ટપણે દેખાય છે. હજારોની સંખ્યામાં ભક્તો પોતાના આરાધ્ય દેવના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અને સમગ્ર શહેરનું વાતાવરણ જય નરસિંહજીના નાદથી ગૂંજી ઉઠ્યું હતું.