શહેરના ભગવતીપરા સુખસાગર સોસાયટીમાં મહિલાએ આપઘાત કરી લેતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ અહીં મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે મહિલાના આપઘાતનું કારણ જાણવા માટે તપાસ હાથ ધરી છે. આપઘાતના આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ, ભગવતીપરા સુખસાગર સોસાયટી-2માં રહેતાં જ્યોત્સનાબેન વિશાલભાઈ વાઘેલા (ઉ.વ.35) નામના મહિલાને સવારે ઘરેથી બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતાં, પરંતુ અહીં મૃત્યુ થયું હતું. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતા બી-ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટે. યોગેશ મકવાણા સહિતના સ્ટાફે વધુ તપાસ હાથ ધરી હતી.
જોકે પોલીસની પ્રાથમિક તપાસમાં જ્યોત્સનાબેને આપઘાત કરી લીધાનું ખુલ્યું હતું. જ્યોત્સનાબેનના લગ્ન પંદર વર્ષ પહેલાં થયા હતા. તેમને સંતાનમાં એક દીકરી અને એક દીકરો છે. આપઘાત કરનારના પતિ વિશાલભાઈ વોર્ડ નં.5માં આરએમસીમાં સફાઈ કામદાર તરીકે પોતાની ફરજ બજાવે છે. આપઘાતનું કારણ જાણવા માટે પોલીસે વધુ તપાસ યથાવત્ રાખી છે.