રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના પારડી ગામે રહેતા નરેશ મૂળજી રાઠોડ (ઉ.વ.35)ને ગઈકાલે બપોરે પોણા બે વાગ્યા આસપાસ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બેભાન હાલતમાં ખસેડવામાં આવેલ જેનું ચાલુ સારવાર દરમિયાન રાત્રે મોત નીપજયું હતું. પોલીસે પરિવારની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, નરેશ મજૂરીકામ કરતો હતો. તેને સંતાનમાં 1 પુત્ર અને 1 પુત્રી છે. ગઈકાલે બપોરે નરેશ પોતાના ઘરે હતો ત્યારે અચાનક બેભાન થઈ જતા તેને તત્કાલ સારવારમાં ખસેડાયો હતો. તેને 6 મહિનાથી થાઈરોડની બીમારી હતી, જેની સારવાર પણ ચાલુ હતી. બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં કલ્પાંત છવાયો હતો. તબીબોના પ્રાથમિક અભિપ્રાય મુજબ મૃતકને હાર્ટએટેક આવ્યો હોવાનું સામે આવ્યું છે પરંતુ, મોતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.