શહેરમાં કોઠારિયા રોડ પર જંગલેશ્વર પાસેના રાધાકૃષ્ણમાં રહેતા યુવક તેના ઘેર હતો ત્યારે તેના મોટા બાપુ અને તેના બે પુત્રએ ઝઘડો કરી છરી વડે હુમલો કર્યો હતો. તેમજ વચ્ચે પડેલા તેના પિતાને મારકૂટ કરી હોવાની ફરિયાદ કરતાં ભક્તિનગર પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર રાધાકૃષ્ણમાં રહેતો અને કારખાનામાં મજૂરી કામ કરતો મનીષ હરેશભાઇ વઢરકિયા (ઉ.20) તેના ઘેર હતો ત્યારે પાડોશમાં રહેતા તેના મોટા બાપુ રસિકભાઇ અને તેના બે પુત્ર ચેતન, ઋષિએ ઘર પાસે આવી મોટા અવાજે ગાળો બોલતા હોય જેથી મનીષ અને તેના પિતાએ ગાળો બોલવાની ના પાડતા ઝઘડો કરી છરી-ધોકા વડે હુમલો કરતા તેના પિતા વચ્ચે પડતા તેને પણ ઢીકાપાટુનો માર માર મારતાં દેકારો થતા લોકો એકઠા થઇને અમને વધારે મારથી બચાવ્યા હતા. બાદમાં મનીષને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે.
ભક્તિનગર પોલીસ મથકના એ.એસ.આઇ. જરગેલા સહિતે તપાસ કરતા મનીષના મોટા બા ગીતાબેનને આઠ દિવસ પૂર્વે હાર્ટએટેક આવ્યો હતો જેમાં અમારા ઘરના કોઇ તેની ખબર કાઢવા ન ગયા હોય જેનો ખાર રાખી ઘર પાસે આવી મોટા બાપુ રસિક અને તેના બે પુત્રએ ધસી આવી અમે તમારા સારા-નરસા પ્રસંગમાં આવી છીએ તો તમે લોકો અમારા ઘેર આવું બન્યું તો કેમ ન આવ્યા કહી ગાળો આપી હુમલો કર્યો હોવાનું જણાવતા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.