શહેરમાં વધુ બે આપઘાતના બનાવો સામે આવ્યા છે. જેમાં પુનિતનગરના ટાંકા પાસે રહેતા વૃદ્ધનો બીમારીથી કંટાળી અને ગઢકા ગામે રહેતા વૃદ્ધનો અગમ્ય કારણસર આપઘાત કરી લેતા મૃતકના પરિવારમાં કલ્પાંત છવાઈ ગયો હતો.
આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, શહેરના પુનિતનગરના ટાંકા પાસે કર્મચારી કો.હા. સોસાયટીમાં રહેતા કનુભાઈ ભૂરાભાઈ ટોળિયા(ઉં.વ.65)એ બીમારીથી કંટાળી ફાંસો ખાઈ આપઘાત કરી લેતા મૃતકના પરિવારમાં કલ્પાંત છવાઈ ગયો હતો. કનુભાઈને ઘણા સમયથી કિડનીની બીમારી હોય અગાઉ પણ તેમણે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. મૃતકને સંતાનમાં એક પુત્ર છે.
જ્યારે બીજા એક બનાવમાં ગઢકા ગામે રહેતા વીરજીભાઈ ભીમાભાઈ ગઢિયા(ઉં.વ.65)એ અગમ્ય કારણસર સવારના સમયે ગામની સીમમાં જઈ ઝેરી દવા પી લીધી હતી. જેનું સારવાર દરમિયાન ખાનગી હોસ્પિટલમાં મોત થયું હતું. પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી છે.