રાજકોટની મધ્યમાં બિરાજતા કરણસિંહજી બાલાજી હનુમાનજી મંદિર ખાતે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલા બોર્ડના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે સરસ્વતી પૂજન અને મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતુ. ધો.10 અને 12 ની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓના મનમાંથી બોર્ડની પરીક્ષાનો ડર દૂર થાય અને તેમનું મનોબળ મજબૂત બને તે માટે બાલાજી હનુમાનજી મંદિરના પ્રાંગણમાં વિશિષ્ઠ ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો.
રાધા રમણ સ્વામીએ જણાવ્યું હતુ કે, બાલાજી હનુમાનજી મંદિરનો આ દરબાર છે અહીં સંધ્યા ઢળવા આવી છે છતાં પણ સવાર લાગે છે. ધોરણ 10 અને 12નાં બોર્ડનાં વિદ્યાથીઓની પરીક્ષા નજીક આવી રહી છે ત્યારે તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ માટે સરસ્વતી પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં હનુમાનજી મહારાજ પ્રગટ રૂપે બિરાજે છે ત્યારે દાદાના આ દરબારમાં આવતા ભક્તો કોઈ દિવસ નિરાશ થતા નથી. હનુમાનજી મહારાજ માટે કહેવાયું છે કે તુમ રક્ષક કાહુકો ડરના એટલે કે જેમના ઉપર હનુમાનજી મહારાજના રખોપા હોય તેઓએ કોઈથી ડરવાની જરૂર નથી.