રાજકોટમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જન્માષ્ટમીનો તહેવાર રંગેચંગે ઉજવવામાં આવે છે. ત્યારે આગામી કૃષ્ણ જન્મને અનુલક્ષીને વિહિપ દ્વારા આ વર્ષે 39મી ધર્મયાત્રા નીકળશે. મવડી ચોકડીથી સામાકાંઠે બાલક હનુમાન મંદિર સુધીની રથયાત્રા નીકળશે. પર્યાવરણની થીમ પરની 22 કિલોમીટરની રથયાત્રામાં 150 ધાર્મિક ફ્લોટ્સ હશે. જેમાં પ્રકૃતિ પરની થીમનો મુખ્ય ફ્લોટ્સ હશે. મહેસાણાની લાઈવ ડીજેની ટીમ લોકોને કૃષ્ણમય બનાવશે તો પ્રકૃતિ, બાળકો, મેડિકલ સહિતનાં ફ્લોટ્સ હશે. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે ત્યારે આ રથયાત્રામાં હિન્દુઓને સંગઠિત થઈ જોડાવવા અપીલ કરાઈ હતી તો સ્ટંટબાજ તેમજ તલવાર સાથે યુવાનોને ન આવવા અપીલ કરવામા આવી હતી.
રાજકોટ વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ શાંતુભાઈ રૂપારેલિયાએ જણાવ્યું હતું કે, વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા છેલ્લા 38 વર્ષથી જન્માષ્ટમીને અનુલક્ષીને શોભાયાત્રા નીકળે છે. આ વર્ષે 39માં વર્ષે આ શોભાયાત્રા નીકળી રહી છે. વર્ષ 1964માં સાંદિપની આશ્રમમાં જન્માષ્ટમીના દિવસે વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના થઈ હતી. હાલ આ વટવૃક્ષ બની ગયું છે. અમારા દ્વારા બેટી બચાઓ, બેટી પઢાઓ અભિયાન સાથે ગૌશાળામાં ગાય માતાનું સંવર્ધન કરવામાં આવે છે.