બાંગ્લાદેશમાં હિંદુ પતિ-પત્નીની હત્યા, ગળું કાપી નાખ્યું

બાંગ્લાદેશના રંગપુર જિલ્લામાં 1971ના સ્વતંત્રતા સંગ્રામના સેનાની, 75 વર્ષીય યોગેશ ચંદ્ર રાય અને તેમની પત્ની સુવર્ણા રાયની ઘરમાં ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. બંનેના મૃતદેહ રવિવારે સવારે તેમના ઘરેથી મળી આવ્યા હતા. હજુ સુધી કોઈ FIR નોંધાઈ નથી કે કોઈ ધરપકડ થઈ નથી.

રવિવારે સવારે લગભગ 7.30 વાગ્યે પડોશીઓ અને ઘરકામ કરનારીએ ઘણી વાર દરવાજો ખખડાવ્યો, પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં. ત્યારબાદ તેઓ સીડી લગાવીને ઘરની અંદર પહોંચ્યા. અંદર સુવર્ણા રાયનો મૃતદેહ રસોડામાં અને યોગેશ રાયનો મૃતદેહ ડાઇનિંગ રૂમમાં પડેલો મળ્યો. બંનેના ગળા કપાયેલા હતા.

પોલીસનું કહેવું છે કે હુમલો મોડી રાત્રે લગભગ 1 વાગ્યે થયો હતો. દંપતી ગામના ઘરમાં એકલા રહેતા હતા. તેમના બે પુત્રો શોવેન ચંદ્ર રાય અને રાજેશ ખન્ના ચંદ્ર રાય બાંગ્લાદેશ પોલીસમાં નોકરી કરે છે.

ફોરેન્સિક ટીમે તપાસ શરૂ કરી દીધી છે, પરંતુ હત્યાનું કારણ સ્પષ્ટ નથી. પોલીસે જણાવ્યું કે પરિવારનો કોઈ જૂનો વિવાદ પણ મળ્યો નથી. રવિવારે બપોરે 2 વાગ્યા સુધી કોઈ કેસ નોંધવામાં આવ્યો ન હતો.

સ્થાનિક સ્વતંત્રતા સેનાની સંગઠન અને સમુદાય હત્યાથી ગુસ્સે છે. લોકો હત્યારાઓની તાત્કાલિક ધરપકડ ન થવા પર પ્રદર્શનની ચેતવણી આપી રહ્યા છે.

આ હત્યા એવા સમયે થઈ છે જ્યારે બાંગ્લાદેશમાં વચગાળાના સરકારના વડા મોહમ્મદ યુનુસના કાર્યકાળમાં લઘુમતીઓ, ખાસ કરીને હિંદુઓ પર હુમલાની ઘટનાઓ વધવાની ફરિયાદો થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *