શહેરમાં માધાપર ચોકડી પાસે આવેલા ફ્લિપકાર્ટની લોજિસ્ટિક કંપની ‘ઇસ્ટાકાર્ટ’’ના વેરહાઉસમાં લાખોની કિંમતના મોબાઈલ ફોનની ચોરી થવાની ઘટના બની છે. કંપનીના જ એરિયા મેનેજર અને ટીમ લીડરે મિલીભગત કરી ગ્રાહકો દ્વારા રિજેક્ટ કે કેન્સલ કરવામાં આવેલા 8.32 લાખની કિંમતના 23 મોબાઈલ ફોન પરત મોકલવાને બદલે ચોરી કરી વેચી નાખ્યા હોવા સામે આવતા આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવમાં, ફ્લિપકાર્ટમાં એન્ફોર્સમેન્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતા કર્મચારી મહેશભાઈ મોહનલાલ રાઠોડે નોંધાવેલી ફરિયાદ મુજબ, માધાપર ચોકડી પાસે સુમતિ એવન્યુમાં કંપનીનું વેરહાઉસ આવેલું છે. અહીં ગ્રાહકો દ્વારા ઓનલાઈન ઓર્ડર કરાયેલા પાર્સલ આવે છે અને જો કોઈ ગ્રાહક ઓર્ડર કેન્સલ કરે તો તે પાર્સલ નિયમ મુજબ જે-તે શો-રૂમ કે વિક્રેતાને પરત કરવાના હોય છે.
ગત તા. 02/02/2026ના કંપનીના ફાઇનાન્સ વિભાગ અને હબ ઇન્ચાર્જ રાજેશભાઈ પંપાણિયા દ્વારા તપાસ કરવામાં આવતા જાણવા મળ્યું હતું કે, ડેટામાં 23 જેટલા મોબાઈલ ફોન ગુમ બતાવે છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, વેરહાઉસમાં ટીમ લીડર તરીકે કામ કરતા કમલેશ ભીખાભાઈ ડાંગરએ એરિયા મેનેજર કેતન અરજણભાઈ રાઠોડના કહેવાથી આ 23 મોબાઈલ ફોન શો-રૂમમાં પરત કરવાને બદલે ચોરી કર્યા હતા. એરિયા મેનેજર કેતન રાઠોડે આ તમામ મોબાઈલ બારોબાર વેચી નાખ્યા હતા.