ગુજરાત સરકાર દ્વારા અગાઉ રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં આ વર્ષે 500 મીટરથી નાની જગ્યામાં ફટાકડા માટે ફાયર NOC નહીં લેવું પડે, માત્ર અગ્નિશમન સાધનો રાખવાના રહેશે એવો નિયમ જાહેર કરાયો હતો. જોકે વેપારીઓ રાહતનો શ્વાસ લે તે પહેલા NOC કરતા વધુ માથાકૂટ થાય તેવી લાંબી પ્રક્રિયા સાથે હવે ફટાકડા વેચવાની મંજુરી ફરજીયાત બનાવાતા હાલમાં વેપારીઓની મુશ્કેલીઓની સાથે સાથે ફાયર વિભાગની કામગીરીમાં વધારો થયો છે. રાજકોટમાં સોમવારથી આ કામગીરી શરૂ કરવામાં આવનાર છે.
પ્રાપ્ત વિગત મુજબ હાલ દિવાળી નજીક હોય ફટાકડા વેચવાનું અને છૂટાછવાયા ફૂટવાનું પણ શરુ થઈ ગયું છે. સરકાર દ્વારા મંજુરી ફરજીયાત બનાવાતા અને તે તાત્કાલિક મળી શકે તેમ નહીં હોવાથી અનેક વેપારીમાં રોષની લાગણી જોવા મળી રહી છે. હવે ફાયર વિભાગ દ્વારા વેપારીઓના દસ્તાવેજો, ફાયરસેફ્ટીના સાધનો, બિલો વગેરે ચકાસીને અભિપ્રાય આપવામાં આવશે. આ માટેની કોઈ ઓનલાઈન સુવિધાઓ ઉભી નહીં કરાતા ફાયર વિભાગમાં દોડધામ સર્જાશે. ફાયર વિભાગના આ અભિપ્રાયનાં આધારે પોલીસ દ્વારા મંજૂરી આપવામાં આવશે.