શહેરમાં બે વ્યક્તિના એક જ દિવસમાં અલગ અલગ સ્થળે ટ્રેનની ઠોકરે મોત નીપજ્યા હતા. કોઠારિયા સોલવન્ટ ફાટક પાસેથી સાંજે સવા ચાર વાગ્યાના અરસામાં ટ્રેન પસાર થઇ હતી ત્યારે અંદાજે 60 વર્ષની વયના એક પ્રૌઢ ટ્રેનની ઠોકરે ચડી ગયા હતા અને સ્થળ પર જ તેમનું મૃત્યુ થયું હતું.
ઘટનાની જાણ થતાં આજી ડેમ પોલીસ દોડી ગઇ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડી મૃતકની ઓળખ મેળવવાની કવાયત શરૂ કરી હતી, તેમજ શહેરની ભાગોળે બેડી હડમતિયા નજીક લાલપર બ્રિજ પાસે રેલવે ટ્રેેક પર બપોરે 12.20 વાગ્યાના અરસામાં એક વ્યક્તિનું ટ્રેનની ઠોકરે મૃત્યુ થયું હતું. બી.ડિવિઝન પોલીસે અજાણ્યા મૃતદેહને હોસ્પિટલે ખસેડી વિશેષ તપાસ શરૂ કરી હતી.