રાજકોટમાં વધુ એક વખત પ્રેમ પ્રકરણનો કરુણ અંત આવ્યો છે. રાજકોટ શહેરના ભગવતીપરા વિસ્તારમાં રહેતા એક યુવાને પ્રેમમાં નિષ્ફળતા અને વિરહના આઘાતમાં આવી ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 9 વર્ષથી યુવક અને યુવતી વચ્ચે પ્રેમ સંબંધ હતો થોડા સમય પહેલા કોર્ટ મેરેજ પણ કરી લીધા હતા. જોકે, પ્રેમિકાના જામનગર ખાતે લગ્ન કરી લેતા યુવકે આઘાતમાં આવી આપઘાત કરી જીવન ટૂંકાવી લીધું છે. હાલ બી ડિવિઝન પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
યુવાને આજે બપોરના સમયે માલગાડી નીચે ઝંપલાવી આપઘાત કરી લીધો રાજકોટ શહેરના ભગવતીપરા શેરી નંબર 10માં રહેતા યુનુસ અલારખાભાઈ ઘેલડા (ઉ.વ.42) નામના યુવાને આજે બપોરના સમયે ઘર પાસે આવેલા જૂના રેલવે સ્ટેશન નજીકથી પસાર થતી એક માલગાડી નીચે ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. આ ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. મૃતક યુનુસ બે ભાઈઓમાં નાનો હતો અને વ્યવસાયે ફૂલ ડેકોરેશનનું કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો.
યુનુસને છેલ્લા 9 વર્ષથી તેના જ વિસ્તારમાં રહેતી અને પોતાના જ સમાજની એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. આ લાંબા ગાળાના સંબંધને લગ્નમાં પરિણમવા માટે બંને મક્કમ હતા, જેના પગલે ગત બે મહિના પહેલા જ બંનેએ પરિવારની જાણ બહાર કોર્ટમાં લગ્ન પણ કરી લીધા હતા. લગ્ન કર્યા હોવાના પુરાવા તરીકે ગત શનિવારે જ યુનુસે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લગ્નના ડોક્યુમેન્ટ્સ અને કંકોત્રી રજૂ કરી હતી. યુનુસ આશા રાખતો હતો કે, કાયદેસરના લગ્ન બાદ તે તેની પત્ની સાથે સુખી જીવન જીવશે પરંતુ, ગઈકાલે યુવતીના પરિવારજનોએ યુનુસ સાથેના તેના લગ્નને માન્ય રાખવાને બદલે તેની જાણ બહાર યુવતીના લગ્ન જામનગર ખાતે અન્ય યુવક સાથે કરી નાખ્યા હતા.