રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ બની ગયેલ છે. વન્યપ્રાણીઓ અંગે વધુને વધુ લોકજાગૃતિ કેળવાય તે માટે કાલે તા. 4ના વિશ્વ પ્રાણી દિવસ નિમિત્તે તમામ મુલાકાતીઓને પ્રાણીસંગ્રહાલય ખાતે નિ:શુલ્ક પ્રવેશ આપવામાં આવશે. હાલ રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે જુદી જુદી 65 પ્રજાતિઓનાં કુલ 553 વન્યપ્રાણી-પક્ષીઓ પ્રદર્શિત કરવામાં આવે છે. જેમાં ખાસ આકર્ષણ ધરાવતા એશિયાઇ સિંહ, સફેદ વાઘ, રોયલ બેંગાલ ટાઇગર, દિપડા, હિમાલયનાં રીંછ, સ્લોથ રીંછ, જળ બિલાડી, ચાર પ્રકારનાં શ્વાનકુળનાં પ્રાણીઓ, ચાર પ્રકારનાં વાંદરાઓ, વિવિધ પ્રજાતીઓનાં સાપ, બે પ્રકારની મગર, જુદી જુદી પ્રજાતીઓનાં હરણો તથા વિવિધ પ્રજાતિનાં પક્ષીઓ વિગેરેને આધુનીક પાંજરાઓ બનાવી મુલાકાતીઓ માટે પ્રદર્શીત કરી વન્યપ્રાણી-5ક્ષીઓનું સંરક્ષણ અને સંવર્ધન કરવામાં આવે છે. આ ઉપરાંત ઝૂ ખાતે પાંચ માસ પહેલા જન્મ થયેલ 2 સફેદ વાઘ બાળને તેની માતા સાથે મુલાકાતીઓ માટે પ્રદર્શીત કરવાનું શરૂ કરવામાં આવેલ છે.