મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ રાજકોટ તાલુકાના હડમતીયા ગોલીડા ગામે જયદીપભાઈની વાડીમાં રહેતા કમલેશભાઈ ગુણેશિયાની દોઢ વર્ષની દીકરી નાનકી તા. 2 જાન્યુઆરી 2026ના રોજ બપોરના 12 વાગ્યાં આસપાસ વાડીમાં ઘર પાસે રમતી હતી. દરમ્યાન ત્યાં જીરુંમાં છાંટવાની જંતુનાશક દવા પડી હતી. જે નાનકીના હાથમા આવી જતા તે બોટલ મોઢામાં નાખતા દવા પી ગઈ હતી. માતા પિતાનું ધ્યાન પડતા નાનકીના હાથમાંથી દવાની બોટલ લઈ લીધી હતી, પરંતુ થોડી દવા પીવાઈ જતા તાત્કાલિક તેને રાજકોટ ઝનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. અહીં સારવાર દરમિયાન આજે સવારે તેનું મોત નીપજ્યું હતું. પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે બાળકીના પિતા ખેત મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે બાળકીના મોતથી શ્રમિક પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
પતિની પ્રેમલીલા ઝડપાતા પત્નીનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ રાજકોટના ઠેબચડા ગામે રહેતી રાધાબેન મનસુખભાઈ ડાભી (ઉ.વ.30) નામની પરિણીતા હરિભાઈની વાડીએ હતી ત્યારે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો જેમાં પરિણીતાને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા આજીડેમ પોલીસ સ્ટાફ હોસ્પિટલ આવી પ્રાથમિક પૂછપરછ કરતા રાધાબેન ડાભીને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પતિ મનસુખભાઈ ડાભીને છેલ્લા દોઢ મહિનાથી પડોશમાં રહેતી પરિણીતા સાથે આંખ મળી જતા બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. ગઈકાલે મનસુખ ડાભી અને તેની પરિણીત પ્રેમિકા શિવ શક્તિ હોટલ ખાતે ચા નાસ્તો કરતા હતા. દરમિયાન રાધાબેન ડાભી શિવ શક્તિ હોટલ ખાતે આવી હતી અને પતિની પ્રેમલીલાનો ભાંડો ફોડવા વીડિયો ઉતારી ફોટા પાડ્યા હતા. જે મુદ્દે પ્રેમિકા સાથે રંગે હાથ ઝડપાયેલા પતિએ ઝઘડો કરતા રાધાબેન ડાભીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે આજીડેમ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વૃદ્ધનો ઝેરી દવા પી આપઘાત હરસુખભાઈ પ્રભુદાસભાઈ વિઠ્ઠલાણી (ઉં.વ.71) ગઈકાલે સાંજે 5.30 વાગ્યા આસપાસ પોતાના બાઈક ઉપર પોતાની ટ્રાન્સપોર્ટની ઓફિસથી ઘરે આવતા હતા, ત્યારે બેડી ચોકડીથી માધાપર ચોકડી વચ્ચે રેલનગર હાઇવે પર એડીબી હોટલ નજીક ઝેરી દવા પી લીધી હતી તેમને તત્કાલ સિનર્જી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. અહીં ડોક્ટરે તેમને સાંજે 7.30 વાગ્યા આસપાસ મૃત જાહેર કર્યા હતા. બનાવવાની જાણ ગાંધીગ્રામ પોલીસને કરવામાં આવતા પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. વૃદ્ધે કયાં કારણસર આત્મઘાતી પગલું ભર્યું તે અંગે પરિવારજનો પણ અજાણ હોવાથી પોલીસે ચોક્કા કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.