રાજકોટમાં પશ્ચિમ વિસ્તારમાં આવતા ધાર્મિક સ્થળોની માલિકીનો આધાર રજૂ કરવા માટે સંચાલકોને પશ્ચિમ મામલતદારે શો-કોઝ નોટિસ આપી છે.જેમાં 7થી વધુ ધાર્મિક સ્થળો-સંસ્થાના સંચાલકોને ખુલાસો પૂછવામાં આવ્યો છે. તેમજ ત્રણ દિવસમાં જવાબ આપવાની તાકીદ કરી છે. તેમ પશ્ચિમ મામલતદારેજણાવ્યું છે.
વધુમાં પશ્ચિમ મામલતદારના જણાવ્યાનુસાર ધાર્મિક સ્થળોનું દબાણ દૂર કરવા-માલિકી હક્ક ખરાઈ કરવા માટે આર.એમ.સી, રૂડા અને સિટી સરવે કચેરી અને મામલતદાર ઝોન હેઠળ જવાબદારી આવતી હોય છે. સામાન્ય રીતે કોઇ પણ દબાણ દૂર કરવાનું હોય તે પૂર્વે માલિકી હક્ક ખરાઈ કરવામાં આવતો હોય છે અને અન્ય જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરાતી હોય છે.
આ બધી પ્રક્રિયા થયા બાદ દબાણ દૂર કરવા માટે નોટિસ અપાતી હોય છે અને આમ છતાં જો દબાણ દૂર ન થાય તો દબાણ દૂર કરાતું હોય છે. પશ્ચિમ વિસ્તારમાં અંદાજિત 7થી વધુ ધાર્મિક સ્થળ આવે છે. તો તેની યાદી તૈયાર કરવામાં આવી છે. જે ધાર્મિક સ્થળોના સંચાલકો છે તેઓને માલિકીના આધાર- પુરાવા રજૂ કરવા માટે જણાવ્યું છે.
ધાર્મિક સ્થળો-સંસ્થાના સંચાલકો આધાર-પુરાવા રજૂ કર્યા બાદ તેનો સ્થળ પર પણ અભ્યાસ કરવામાં આવશે અને આધાર-પુરાવાની પણ ખરાઈ કરાશે.જો બન્નેમાં તફાવત હશે તો તેની પણ સ્પષ્ટતા માગવામાં આવશે. 8 ઓગસ્ટ સુધીમાં ધાર્મિક સંસ્થા-સંચાલકોને સાંભળવામાં આવશે.જે રિપોર્ટ આવશે તે ઉચ્ચ કક્ષાએ જમા કરાવવામાં આવશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી- નિર્ણય કરવામાં આવશે.