રાજકોટના કાલાવડના શિશાંગ ગામ નજીક બાઇક સ્લિપ થતાં કાલાવડના મોટા વડાળાના ધોરણ-9ના વિદ્યાર્થીનું મોત થયું છે. જ્યારે બાઇકચાલક તેના શિક્ષકનો ઈજા સાથે બચાવ થયો છે. મૃતક વિદ્યાર્થીના કાકાના લગ્ન હોઇ તેમાં હાજરી આપ્યા બાદ શિક્ષક આજે પરીક્ષાનું પેપર હોવાથી છાત્રને લઇને સ્કૂલે જવા નીકળ્યા ત્યારે આ બનાવ બન્યો હતો. ગંભીર ઇજાગ્રસ્ત છાત્રને સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો, પરંતુ અહીં મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાયો હતો.
બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ, શિશાંગ ગામથી કાલાવડ જવાના રસ્તે બાઇક સ્લિપ થતાં બાઇકચાલક શિક્ષક રાજેન્દ્રભાઇ સોનાગરા(ઉ.વ.35) અને પાછળ બેઠેલા ધોરણ-9ના વિદ્યાર્થી મોટા વડાળાના સૂર્યદીપસિંહ કુલદીપસિંહ જાડેજા(ઉ.વ.16)ને ઇજાઓ થઇ હતી. જેમાં શિક્ષકને પ્રાથમિક સારવાર અપાઇ હતી.જ્યારે સુર્યદીપસિંહનું મોત થયું હતું.