પપ્પા, હવે હું થાકી ગયો છું’ કહી સગીરનો ફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ

રાજકોટના ભોમેશ્વર વાડી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં માતાની સતત વણસી રહેલી માનસિક સ્થિતિ અને ઘરના કલેશથી કંટાળીને ધોરણ 9માં ભણતા 15 વર્ષના કિશોરે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

સદનસીબે, પિતાની સમયસૂચકતાને કારણે કિશોરનો જીવ બચાવી લેવાયો હતો. હાલ આ સગીર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ, ભોમેશ્વર વાડી વિસ્તારમાં રહેતા એક પ્રૌઢનો 15 વર્ષીય પુત્ર વહેલી સવારે સાડા છ વાગ્યાના અરસામાં પોતાના રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી આપઘાત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, જે દરમિયાન અવાજ આવતા સગીરના પિતા તુરંત જ રૂમમાં દોડી ગયા હતા અને પુત્રને નીચે ઉતારી લીધો હતો.

સગીરને બેભાન અવસ્થામાં તાત્કાલિક 108 મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.

સગીરના પિતાએ જણાવ્યા અનુસાર, પરિવાર છેલ્લા દોઢ મહિનાથી ભારે માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યો છે. તેમની પત્ની માનસિક રીતે અસ્વસ્થ હોવાથી ઘરમાં સતત તોડફોડ અને અશાંતિનું વાતાવરણ રહેતું હતું. પત્નીની બીમારીને કારણે પરિવારના સભ્યો છેલ્લા બે દિવસથી સૂઈ શક્યા નહોતા.

જેથી પુત્રે હતાશામાં આવીને પિતાને કહ્યું હતું કે,”પપ્પા, હવે હું થાકી ગયો છું’ અને ત્યારબાદ આ પગલું ભર્યું હતું. સગીર ત્રણ ભાઈઓમાં સૌથી નાનો પુત્ર છે અને ધોરણ 9માં અભ્યાસ કરે છે. સિવિલ હોસ્પિટલના તબીબોના જણાવ્યા અનુસાર હાલ સગીરની હાલત સ્થિર છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *