ગુજરાતમાં આજે (14 જાન્યુઆરી) આકાશમાં રંગબેરંગી પતંગો છવાશે અને વાતાવરણમાં કાઈપો છે અને લપેટના નારા ગુંજી ઉઠશે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના શહેરોમાં મોડીરાત સુધી પતંગરસિકોની ભારે ભીડ જોવા મળી હતી. લોકો દિવસભર પતંગ ચગાવવાની સાથે સાથે મ્યુઝિક સાથે ઊંધિયા-જલેબીની જયાફત માણવાની પણ પૂરતી તૈયારી કરી રાખી છે. તો બીજી તરફ ઉત્તરાયણના આ પર્વ પર કોઈ અકસ્માત સર્જાય તો તેના માટે 108, કરૂણા અભિયાન અને ફાયરની ટીમો પણ ખડેપગે રહેશે.
ઉત્તરાયણના પર્વ પર સંભવિત અકસ્માતના બનાવને પહોંચી વળવા માટે 108ની ટીમ સજ્જ બની છે. ઉતરાયણ અને વાસી ઉતરાયણના દિવસે સૌથી વધુ ઇમરજન્સીના કેસો અમદાવાદ, સુરત, રાજકોટ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, અરવલ્લી, નવસારી અને પંચમહાલ જેવા શહેરોમાં નોંધાતા હોય છે જેથી આ શહેરોના નાગરિકોએ તહેવાર દરમિયાન સાવચેત રહેવાની જરૂર છે.