ઉત્તરાખંડના ઉત્તરકાશીના ધરાલી ગામમાં થયેલી આ દુર્ઘટના પાછળ વાદળ ફાટવાનું કારણ હોવાનું કહેવામાં આવી રહ્યું હતું, પરંતુ હવામાન વિભાગ (IMD)ના વૈજ્ઞાનિક રોહિત થાપલિયાલે જણાવ્યું હતું કે, અમારી પાસે વાદળ ફાટવાનો કોઈ ડેટા નથી.
થાપલિયાલે જણાવ્યું હતું કે, વાદળ ફાટવાની ઘટના ત્યારે થાય છે જ્યારે એક કલાક કે તેથી ઓછા સમયમાં 20થી 30 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં અચાનક 100 મીમી કે તેથી વધુ વરસાદ પડે છે, પરંતુ 6 ઓગસ્ટે ઉત્તરકાશીમાં માત્ર 27 મીમી વરસાદ નોંધાયો હતો, જે ખૂબ જ ઓછો છે.
અહીં, આ દુર્ઘટનાના 24 કલાક પછી પણ ધરાલી, હર્ષિલ અને સુખી ટોપના અસરગ્રસ્ત વિસ્તારોમાં શોધખોળ ચાલી રહી છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 5 લોકોનાં મોત થયા છે. 100થી વધુ લોકો ગુમ છે. SDRF, NDRF, ITBP અને સેના બચાવ કાર્યમાં રોકાયેલા છે.