શહેરમાં નાનામવા પાસેના રાજનગરમાં રહેતા પ્રૌઢાને વીજકરંટ લાગતાં તેનું મોત નીપજતા તેના પરિવારમાં શોક છવાયો છે. બનાવના પગલે માલવિયાનગર પોલીસે કાર્યવાહી કરી છે.
રાજનગરમાં રહેતા પ્રફુલાબેન જીતેન્દ્રભાઇ ડોડિયા (ઉ.46) તેના ઘેર હતા ત્યારે ફ્રીઝની પિન સ્વિચ બોર્ડમાં લગાવવા જતાં વીજકરંટ લાગતાં તેના પરિવારે જાણ કરતાં 108ની ટીમે પહોંચી પ્રૌઢાને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે માલવિયાનગર પોલીસ મથકના જમાદાર કેતનભાઇ સહિતના સ્ટાફે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
અન્ય બનાવમાં શહેરમાં કોઠારિયા રોડ પર ગોકુલનગરમાં રહેતા પ્રેમ દિલીપભાઇ ચોટલિયા (ઉ.19) એ પોતાના ઘેર ઝેરી દવા પી જતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવને પગલે ભક્તિનગર પોલીસ મથકના જમાદાર પ્રશાંતસિંહ સહિતના સ્ટાફે તપાસ કરી યુવકના આપઘાતનું કારણ જાણવા કાર્યવાહી કરી છે.
આ ઉપરાંત રાજકોટ જિલ્લાના પડધરી પાસેના સરપદડ ગામે રહેતા વલ્લભભાઇ રામજીભાઇ જાવિયા (ઉ.75) તા.10-12ના રોજ તેનું બાઇક લઇને જતા હતા ત્યારે મોટા રામપર ગામ પાસે ટ્રકે ઠોકરે લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જેનું સારવાર દરમિયાન મોત નીપજતા પડધરી પોલીસે તપાસ હાથ ધરી છે.