હવામાન વિભાગે આગામી 7 દિવસ એટલે કે, 27 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જેમાં ખાસ કરીને આજથી બે દિવસ (27-28 ઓગસ્ટ) દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઇને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધી 641.8 મીમી વરસાદ નોંધાયો જે સામાન્ય કરતા 14 ટકા વધુ છે. તો બીજી તરફ અંબાલાલ પટેલે નવરાત્રિમાં પણ રાજયમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ થવાની શકયતા વ્યક્ત કરી છે.
આવતીકાલે સરદાર સરોવર ડેમના 5 દરવાજા ખોલાશે સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાંથી 1.72 લાખ ક્યુસેક પાણીની આવકને પગલે આવતીકાલે ડેમના 5 દરવાજા પુન: ખોલવામાં આવશે. મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી 1.52 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા આ પાણી રાત્રિના સરદાર સરોવરમાં આવશે.
સરદાર સરોવર નર્મદા બંધ છલોછલ ભરાવવાની તૈયારીમાં છે. હાલમાં સરદાર સરોવરમાં પાણીનો સંગ્રહિત જથ્થો 8,512 MCM છે, એટલે ડેમ 90 ટકા જેટલો ભરાઈ ગયો છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટરને જોતા હાલ સપાટી 135.65 મીટર છે. એટલે છલોછલ થવામાં માત્ર 3 મીટર દૂર છે.