જંગલેશ્વર ભવાની ચોક નજીક રાધાકૃષ્ણનગરમાં રહેતાં યુવાન પર ચાર શખ્સે છરીથી હુમલો કરતાં તેને બચાવવા વચ્ચે પડેલા બે પાડોશી યુવાનને પણ છરીના ઘા ઝીંકી દેતા એકની હાલત ગંભીર છે.
હુમલામાં ઘાયલ પૈકીના જંગલેશ્વર રાધાકૃષ્ણનગર-19/20ના ખૂણે રહેતાં ચેતન ધીરૂભાઈ ચાવડાએ ફરિયાદમાં રણુજા મંદિર પાસે રહેતાં વિશ્વજિત પ્રભાતભાઈ જળુ તથા તેના મિત્ર અરમાન મહેબૂબભાઈ અજમેરી અને બે અજાણ્યા શખ્સ સામે હત્યાની કોશિશનો ગુનો નોંધ્યો છે.
ચેતન ચાવડાએ જણાવ્યું છે કે, મંગળવારે રાતે વિક્રમ ચોક રાધાકૃષ્ણનગર ખાતે પહોંચતા વિશ્વજિત જળુ અને અરમાન અજમેરી તથા બે અજાણ્યા શખ્સ તલવાર સાથે બોલતો હતો કે, હવે આ શેરીમાં બેસવાની આપણને કોણ ના પાડે છે એ જોવું છે, કોઈ ના પાડે તો એને છરીના ઘા મારી દેવા છે. આથી તેણે વિશ્વજિતને સમજાવતાં તે વાતનો ખાર રાખી છરી ઝીંકી દીધી હતી.
ઝઘડામાં કાળુભાઈ લાવડિયા અને અરવિંદભાઈ રમેશભાઈ ચૌહાણ બંને તેને છોડાવવા દોડી આવ્યા હતા. જેમાં પ્રભાતભાઈને પેટ અને છાતીમાં બે ઘા લાગી જતાં ગંભીર ઇજા થઇ હતી. પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.