ધોરાજી તાલુકાના સુપેડી ગામે સેવા અને સંવેદનાનો અનોખો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. સુપેડી સેવા મંડળ સંચાલિત ‘રાધે કૃષ્ણા ગૌશાળા’ દ્વારા તાલુકા પ્રાથમિક શાળા ખાતે ભવ્ય નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં સુપેડી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોના આશરે ૩૫૦ થી ૪૦૦ દર્દીઓ આવ્યા હતા અને નિષ્ણાત તબીબોના માર્ગદર્શન હેઠળ આરોગ્ય તપાસ કરાવી હતી.
આ કેમ્પમાં રાજકોટ તેમજ ઉપલેટાના મળી કુલ ૧૧ ડોક્ટરોએ પોતાની સેવાઓ અર્પણ કરી હતી. જેમાં હૃદયરોગ, હાડકા, સ્ત્રી રોગ, બાળ રોગ અને કેન્સર જેવા ગંભીર રોગોના નિષ્ણાતો સામેલ હતા. ડો. અભિષેક ઠક્કર અને ડો. જયરાજ મહેતાએ દર્દનું સચોટ નિદાન કર્યું હતું.
તપાસની સાથે જ દર્દીઓને જરૂરી દવાઓ, ઈ.સી.જી. અને ડાયાબિટીસ રિપોર્ટ પણ મફત કરી આપવામાં આવ્યા હતા.
ગૌશાળાના મંત્રીએ ગૌરવ સાથે જણાવ્યું હતું કે, સંસ્થા હાલ ૨૦૦ જેટલી નિરાધાર ગાયોનો નિભાવ કરી રહી છે અને ગૌસેવાની સાથે માનવ સેવા પણ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે.