27 ઓગસ્ટના બુધવારે જૈનોના મહાપર્વ સંવત્સરીની ઉજવણી કરવામાં આવશે. રાજકોટના જૈન ઉપાશ્રયો અને દેરાસરોમાં આ મહાપર્વને લઇને ઉત્સાહનો માહોલ છે. પર્યુષણના છેલ્લા દિવસે ઉજવાતા આ મહાપર્વ અગાઉ માસ ખમણ અને અઠ્ઠાઈ કરી શ્રાવક-શ્રાવિકાઓ દ્વારા કઠિન તપ આરાધના કરવામાં આવે છે. આ દરમિયાન રાજકોટના એક પરિવારના તમામ સભ્યો એટલે કે, પતિ-પત્ની અને તેમના બંને સંતાનોએ અઠ્ઠાઈના તપ કર્યા. ગૌરવભાઈ દોશી (ઉ.વ. 43), પત્ની નેમીબેન દોશી (ઉ.વ. 39), પુત્ર મહાવીર (ઉ.વ. 16) અને પુત્રી હેત્વી (ઉ.વ. 14)એ અઠ્ઠાઈ તપની આરાધના કરી. ફોઇ અમીબેને 30 દિવસના ઉપવાસ એટલે કે માસ ખમણ કરી રહ્યા હોવાથી તેમની પ્રેરણાથી દોશી પરિવાર અઠ્ઠાઈ તપની આરાધના કરે છે.
ગૌરવ દોશીએ જણાવ્યું હતું કે, હું સ્ટોક માર્કેટનું કામ કરું છું. અમારા સમગ્ર પરિવારે કિચનને લોક મારીને 8 દિવસ અઠ્ઠાઈ તપની આરાધના કરી છે. અમારા ઉપર દેવગુરૂ ધર્મની અસીમ કૃપા વરસી રહી છે. જેમની કૃપાથી જ અમારા અઠ્ઠાઇ તપ થયા છે. હું મારા પત્ની નેમી, મારો પુત્ર મહાવીર અને દીકરી હેત્વીએ અઠ્ઠાઈ તપની આરાધના કરી છે. મારી દીકરી અને દીકરાએ મને જ્યારે કહ્યું કે અમારે અઠ્ઠાઈ તપની આરાધના કરવી છે ત્યારે એમ લાગ્યું કે તેઓ આ કરી નહીં શકે.