સુરત લોકસભા બેઠક પર છેલ્લા બે દિવસથી ચાલી રહેલા રાજકીય ડ્રામાને અંતે રવિવારે બપોરે ચૂંટણી અધિકારી ડો. સૌરભ પારઘીએ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ જાહેર કર્યું હતું. કુંભાણીના ટેકેદાર બનેવી, ભાણિયો અને ભાગીદાર ચૂંટણી અધિકારી સમક્ષ હીયરિંગમાં હાજર જ થયા નહીં. બીજી તરફ, ચૂંટણી અધિકારીએ કરેલી તપાસમાં ત્રણેય ટેકેદારની અસલ સહી ઉમેદવારીપત્રમાં કરેલી સહી સાથે મેચ થઈ નહીં. એટલું જ નહીં, ટેકેદારોને ધાકધમકી કે દબાણ પણ કરવામાં આવ્યું ન હોવાનું તપાસમાં ફલિત થતાં ફોર્મ અમાન્ય જાહેર કરાયું હતું.
આજે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ છે ત્યારે સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ થયા છે, કારણ કે સુરત લોકસભા બેઠક પર અપક્ષ સહિત 8 ઉમેદવાર પૈકી 7 ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યાં હતાં. બાદમાં બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર પ્યારેલાલ ગાયબ થયા બાદ કલેક્ટર કચેરીએ પ્રગટ થયા હતા અને ઉમેદવારીપત્રક પાછું ખેંચી લેતાં ચૂંટણીપંચે વિજેતા જાહેર કર્યા છે. ઉલ્લેખનીય છે કે દેશમાં પ્રથમવાર લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે.