દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ સામે NIA તપાસની ભલામણ કરી છે. તેમણે કહ્યું છે કે કેજરીવાલે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ‘શિખ ફોર જસ્ટિસ’ પાસેથી રાજકીય ફંડિંગ લીધું છે.
LGને વર્લ્ડ હિંદુ ફેડરેશનના રાષ્ટ્રીય મહાસચિવ આશુ મોંગિયા તરફથી ફરિયાદ મળી હતી, જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (AAP)એ 2014થી 2022ની વચ્ચે ખાલિસ્તાની આતંકવાદી જૂથો પાસેથી $16 મિલિયન એટલે કે 133 કરોડ રૂપિયા લીધા હતા. જેથી દેવેન્દ્ર પાલ ભુલ્લરને મુક્ત કરી શકાય. આ ફરિયાદના આધારે LGએ આ ભલામણ કરી છે.
આ પત્રમાં લખવામાં આવ્યું છે કે 1 મેના રોજ વર્લ્ડ હિન્દુ ફેડરેશન ઈન્ડિયાના રાષ્ટ્રીય મહાસચિવ આશુ મોંગિયા દ્વારા LGને ફરિયાદ મોકલવામાં આવી હતી. તેમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ભૂતપૂર્વ AAP કાર્યકર ડૉ. મુનીશ કુમાર રાયઝાદાની કેટલીક પોસ્ટની પ્રિન્ટઆઉટ, એક પત્ર અને પેનડ્રાઈવ પણ હતી.
આશુ મોંગિયાએ તેમની ફરિયાદમાં પેન ડ્રાઈવમાંથી એક વીડિયોનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં ખાલિસ્તાની આતંકવાદી અને શીખ ફોર જસ્ટિસના સ્થાપક ગુરપતવંત સિંહ પન્નુએ દાવો કર્યો હતો કે અરવિંદ કેજરીવાલની પાર્ટી AAPને 2014થી 2022 વચ્ચે ખાલિસ્તાની જૂથો પાસેથી 16 મિલિયન ડોલર એટલે કે 133.60 કરોડનું ફંડિંગ મળ્યું હતું.
એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે 2014માં કેજરીવાલ ન્યૂયોર્કના ગુરુદ્વારા રિચમંડ હિલમાં ખાલિસ્તાન તરફી શીખોને મળ્યા હતા. આ બેઠકમાં કેજરીવાલે વચન આપ્યું હતું કે જો AAP ખાલિસ્તાની જૂથો પાસેથી ભંડોળ મેળવતું રહેશે તો તેઓ દેવેન્દ્ર પાલ ભુલ્લરને મુક્ત કરવામાં મદદ કરશે.