સોમવારે સાંજે દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા કાર બોમ્બ વિસ્ફોટમાં 9 લોકોના મોત થયા હતા અને 24 લોકો ઘાયલ થયા હતા. ફોર્ટ મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે એક ચાલતી કારમાં આ વિસ્ફોટ થયો હતો.
વિસ્ફોટનું કારણ સ્પષ્ટ નથી, પરંતુ ગુજરાત, દિલ્હી, મુંબઈ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં હાઇ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. NIA અને NSGને પણ ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે.
ડોને લખ્યું કે સોમવારે સાંજે દિલ્હીના લાલ કિલ્લામાં એક પ્રચંડ વિસ્ફોટ થયો હતો, જેમાં ઓછામાં ઓછા આઠ લોકો માર્યા ગયા હતા અને 20થી વધુ ઘાયલ થયા હતા. આ વિસ્ફોટ જૂની દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે થયો હતો, જ્યાં રસ્તા પર અસંખ્ય વાહનો પાર્ક કરેલા હતા. વિસ્ફોટનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
દિલ્હી પોલીસના પ્રવક્તા સંજય ત્યાગીએ જણાવ્યું હતું કે, વિસ્ફોટ સાંજે 7 વાગ્યાની આસપાસ થયો હતો જ્યારે એક કાર રેડ લાઇટ પર રોકાઈ હતી અને અચાનક વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટથી નજીકની ઘણી કાર અને ઓટો-રિક્ષાઓ ચપેટમાં આવી ગઈ હતી. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લીધી હતી.
વિસ્ફોટ બાદ દિલ્હી, મુંબઈ અને ઉત્તર પ્રદેશમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશમાં ધાર્મિક સ્થળો અને સરહદી વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.
17મી સદીનો મુઘલ યુગનો કિલ્લો લાલ કિલ્લો ભારતમાં એક સીમાચિહ્નરૂપ છે. આ વિસ્તારમાં સુરક્ષા હંમેશા કડક રહે છે, તેથી વિસ્ફોટથી સમગ્ર દેશ હચમચી ગયો.