રાજકોટમાં રહેતા નણંદ-ભોજાઈને 45 કિલો સોનું અને 15 કરોડ રૂપિયા રોકડા તાંત્રિક વિધિથી આપવાની લાલચ દઈને ભોજાઈ પર તાંત્રિકે એક વખત દુષ્કર્મ અને સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય કર્યાની ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે મૂળ જયપુરના અને છેલ્લા કેટલાક સમયથી સૌરાષ્ટ્રના અલગ-અલગ શહેરમાં તાંત્રિક વિધિના નામે છેતરપિંડી આચરતા શખ્સને કોડીનાર પાસેથી ઝડપી લઈ તેને રિમાન્ડ મેળવવા કોર્ટમાં રજૂ કરવા તજવીજ શરૂ કરી છે.
રાજકોટમાં રહેતી મહિલાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, માંગરોળમાં રહેતા કુટુંબીજનના માધ્યમથી એક તાંત્રિકનો પરિચય થયો હતો. કુટુંબીજને એવી વાત કરી હતી કે, આ તાંત્રિક ઘરમાં જમીનની નીચે રહેલી કિંમતી ચીજવસ્તુઓ અને ઝવેરાત હોય તો તે કાઢી આપે છે. દરમિયાન મે મહિનામાં આ તાંત્રિક રાજકોટ આવ્યા ત્યારે ફરિયાદી મહિલાના સાસુને આ વાતની જાણ થઈ હતી અને તાંત્રિકને મહિલા પોતાના ઘરે લઈ આવ્યા હતા. ઘરમાં આંટો માર્યા બાદ એક જગ્યા પર રૂમમાં ઊભા રહીને ‘ઈસકે અંદર સે 45 કિલો સોના નીકલેગા’ની વાત કરી હતી અને મહિલાને લીંબુ લઈ આવવાનું કહી થોડી વિધિ કરી હતી. આ સમયે મહિલાના નણંદ પણ ત્યાં હાજર હતા. તેઓને પણ ‘હું તમને 15 કરોડ રૂપિયા બનાવી દઈશ’ કહીને તેમની પાસેથી રૂ.70,000 ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા અને ફરિયાદી મહિલાને સોનું કાઢી આપવાની લાલચ આપી 36 હજાર રૂપિયા રોકડા લઈ લીધા બાદ તાંત્રિક ચાલ્યો ગયો હતો.
બે દિવસ બાદ તાંત્રિક ફરી મહિલાના ઘરે આવ્યો હતો અને મહિલાના પતિ-સાસુ અને નણંદને રૂમની બહાર રાખ્યા હતા અને મહિલાને અંદર લઈ જઈ નિર્વસ્ત્ર કરી શારીરિક છેડછાડ કરી હતી અને એવું કહ્યું હતું કે, ‘અભી શક્તિ નહીં મિલ રહી હે’ કહી જતો રહ્યો હતો. ત્રણ દિવસ બાદ ફરી તાંત્રિક મહિલાને ઘરે આવ્યો હતો અને લગભગ છ વખત આ સિલસિલો ચાલુ રહ્યો હતો.