રાજકોટ નાગરિક બેન્કની કાલે ચૂંટણી યોજાનાર છે ત્યારે મામા-ભાણેજ વચ્ચેના વિવાદના કારણે સહકારીક્ષેત્રમાં ભારે ચર્ચાસ્પદ બનેલી આ ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાઇ તે માટે વહીવટીતંત્ર સજ્જ બન્યું છે અને રાજકોટ સહિત સાત સ્થળે મતદાન યોજાનાર હોય સુરત અને મુંબઇના મતદાન મથકો પર ફરજ માટે મુકાયેલા સ્ટાફને મતપેટીઓ સાથે ફરજના સ્થળે જવા રવાના થયા છે. આ ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે સાતેય મતદાન મથકો પર વેબ કાસ્ટિંગ-વીડિયો રેકોર્ડિંગની વ્યવસ્થા ચૂંટણીતંત્ર દ્વારા ગોઠવાઈ છે.
સુરત અને મુંબઇ માટે શુક્રવારે મતપેટીઓ સાથે સ્ટાફને રવાના કર્યા બાદ હવે જસદણ, જેતપુર, અમદાવાદ, મોરબી સહિતના સ્થળો પર મતપેટી સાથે સ્ટાફને આજે મોકલવામાં આવનાર છે. રવિવારે સવારે 8 થી બપોરે 4 વાગ્યા સુધી મતદાન થનાર છે અને તા.19મીએ મતગણતરી કરી પરિણામ જાહેર કરાશે. દરેક મતદાન મથકો ઉપર પોલીસનો પણ પૂરતો બંદોબસ્ત ગોઠવવાનું આયોજન ચૂંટણીતંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. રાજકોટમાં કુલ 196 મતદારો છે.