રાજકોટ શહેરના જામનગર રોડ વ્હોરા સોસાયટી પાસે રહેતાં અને ચાની હોટલ ચલાવતાં 30 વર્ષના શખ્સે પોતાને પેરેલિસીસની અસર થઇ ગઇ છે તેવા ખોટા સારવારના રિપોર્ટ ઉભા કરાવી 40 લાખનો વીમો પકવવા કારસ્તાન ઘડતાં ગત એપ્રિલ મહિનામાં ફરિયાદ નોંધાઈ હતી. જેમાં ગાંધીગ્રામ પોલીસે ફિઝીયોથેરાપીસ્ટ ડો. અંકિત કાથરાણી સહિત પાંચની ધરપકડ કરી હતી. ત્યારે ડો. અંકિત કાથરાણી વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ છે, જેમાં તેણે HDFC અરગો કંપનીનો મેડીક્લેઇમ ઉતરાવી રાજકોટની ખાનગી હોસ્પિટલની સારવારના તથા સિવિલ હોસ્પિટલના સહયોગ ઇમેજીંગના ખોટા MRI રિપોર્ટને આધારે રૂ. 22,49,587ની પોલીસી પાસ કરાવી લીધાનું સામે આવ્યું છે.
ડો. અંકિત કાથરાણી વિરૂદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધ્યો ગાંધીગ્રામ પોલીસે મુળ તેલંગણાના કરીમનગરના માનકુડુરના વતની અને હાલ અમદાવાદ નવરંગપુરામાં વસુધા એપાર્ટમેન્ટ બી-7 ખાતે રહેતાં અને HDFC અરગો જનરલ ઇન્સ્યુરન્સ કંપનીમાં આસી. વાઇસ પ્રેસીડેન્ટ તરીકે નોકરી કરતાં ડો. શ્રીનિવાસ જનારામુ નરસૈયા (ઉ.વ.44)ની ફરિયાદ પરથી અગાઉના વીમા પોલીસીના કૌભાંડમાં પકડાયેલા અને જેલમાં બંધ ફિઝોયોથેરાપીસ્ટ ડો. અંકિત હિતેષભાઇ કાથરાણી વિરૂદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે.