એર ઇન્ડિયા પછી ઇન્ડિગોની ફ્લાઇટ્સ પણ આવતીકાલથી મોંઘી થઈ જશે. દેશની સૌથી મોટી એરલાઇન કંપનીએ શુક્રવારે તમામ ઘરેલું અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર ‘ફ્યુઅલ સરચાર્જ’ લગાવવાની જાહેરાત કરી છે.
એરલાઇને જણાવ્યું કે ઇરાન અને અમેરિકા-ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે જેટ ફ્યુઅલની કિંમતો 85% સુધી વધી ગઈ છે. આ કારણે ઘરેલું અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સની ટિકિટો પર ₹425થી ₹2300 સુધીનો સરચાર્જ લગાવવામાં આવશે.
એક્સ્ટ્રા ફ્યુઅલ ચાર્જ સાથે ટિકિટોની નવી કિંમતો 14 માર્ચ રાત્રે 12 વાગ્યાથી લાગુ પડશે.
ઇન્ડિગોએ મુસાફરો પર પડતા બોજને ઓછો રાખવા માટે અલગ-અલગ અંતર મુજબ ચાર્જ નક્કી કર્યો છે. કંપનીએ જણાવ્યું કે જેટ ફ્યુલની કિંમત વધવાથી વધેલા ખર્ચને વસૂલવા માટે ભાડામાં ખૂબ મોટા વધારાની જરૂર હતી. ઇન્ડિગોએ કહ્યું કે તે પરિસ્થિતિ પર નજર રાખશે અને જરૂર પડ્યે આ ચાર્જિસમાં ફેરફાર કરવામાં આવશે.