રાજકોટ મહાપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ, શહેરના ત્રણેય ઝોનના ડે. કમિશનર સહિતના અધિકારીઓએ આજે ફિલ્ડમાં સફાઈ અને રોડ રિસ્ટોરેશન સહિ વિવિધ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. જેમાં ડે. કમિશનર મનીષ ગુરવાનીએ ઇસ્ટ ઝોનના વોર્ડ નંબર 16ની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે ટીપરવાનના સમયસર આગમન અને ન્યુસન્સ પોઈન્ટ્સની ચકાસણી કરી હતી. તેમણે કોલ સેન્ટરની ફરિયાદોનું પણ રીવ્યુ કર્યું હતું. વેસ્ટ ઝોનમાં, ડે. કમિશનર ચેતન નંદાણીએ વોર્ડ નંબર 9 અને 10માં ન્યુસન્સ પોઈન્ટ્સ અને મિની ટીપર વાનના શેડ્યુલ અંગે માહિતી મેળવી હતી, તેમજ રોડ રિપેરીંગની ચાલતી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. જ્યારે સેન્ટ્રલ ઝોન ડે. કમિસનર હર્ષદ પટેલે વોર્ડ નંબર 2, 3 અને 7ની મુલાકાત લીધી હતી. તેમણે સ્લમ ક્વાર્ટર, રોડ રિસ્ટોરેશન, અને યાજ્ઞિક રોડ પર સર્વેશ્વર વોકળાની ચાલતી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ નિરીક્ષણ દરમિયાન સિટી એન્જિનિયર, નાયબ પર્યાવરણ ઈજનેર સહિત સંબંધિત અધિકારીઓ હાજર રહ્યા હતા.
અન્ય સમાચાર રાજકોટ શહેરમાં છેલ્લા 3 વર્ષમાં 241 કરોડના ખર્ચે ગેરેંટીવાળા 383 રોડ બન્યા છે. આ ત્રણ વર્ષમાં આ જ રસ્તાઓ પર 1875 જેટલા ખાડા પડયાનું સત્તાવાર રીતે તંત્રએ સ્વીકાર્યુ છે. ગેરેંટીવાળા રોડ કંપનીના ખર્ચે રીપેર કરાતા હોવાનું જણાવીને તંત્રએ આ તમામ ખાડા બુરાઇ ગયાનો દાવો પણ કર્યો છે. વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠીયાએ 3 વર્ષમાં રસ્તાના કામ પાછળ ઝોનવાઇઝ ખર્ચ, ઝોનલ કોન્ટ્રાકટનો ખર્ચ, ગેરેંટીવાળા રોડ પર પડેલા ખાડા, ઝોનલ કોન્ટ્રાકટરોએ બુરેલા ખાડાનો ખર્ચ, ખાડાની ફરિયાદનો પ્રશ્ન પૂછયો હતો. જેના જવાબમાં અધિકારીઓ બોર્ડને કહ્યું હતું કે, છેલ્લા 3 વર્ષમાં રૂપિયા 241.08 કરોડના ખર્ચે 383 રોડ ગેરંટીવાળા બનાવવામાં આવ્યા હતા. જેમાં 1875 જેટલા ખાડા તો એજન્સી પાસે ભરવામાં આવ્યા છે. પરંતુ ખાડા પડયા શા માટે અને તે બદલ લોકોને થયેલી હેરાનગતિનું શું તેવો સવાલ વિપક્ષે કર્યો છે.