પડધરીના ડુંગરકા ગામે રામજી મંદિરની જમીનનો માલિકીહક ફેરબદલ કરવા માટે ચેરિટી કમિશનરને મનાઈહુકમ ફરમાવ્યો છે. પડધરી તાલુકાના ડુંગરકા ગામે જ્યારે રામજી મંદિર રજિસ્ટર્ડ થયું ત્યારે જમીન સંસ્થાની માલિકીની હતી. ત્યારબાદ મંદિરના પૂજારી છબીલદાસ નિમાવતે અરજી કરી હતી કે, જમીન શરતચૂકથી ટ્રસ્ટમાં નોંધાયેલ છે. તેથી જમીનનો માલિકીહક પોતાના નામે કરી લેવા 1992માં મદદનીશ ચેરિટી કમિશનરમાં અરજી કરી હતી અને આ ફાઈલ અભેરાઈ પર ચડી ગઈ હતી. ત્યારબાદ વર્તમાન સમયમાં આ પ્રકરણમાં તપાસ શરૂ કરવામાં આવી છે અને જમીન માલિકીહક ફેરબદલ કરવા માટે મનાઈહુકમ કરવામાં આવ્યો છે. તેમજ પક્ષકારને આ પ્રકરણમાં ખુલાસો આપવા માટે નોટિસ ફટકારવામાં આવી છે. મનાઇહુકમ અંગેની જાણ મામલતદારને પણ કરવામાં આવી છે.
આ કેસની વિગત મુજબ જમીન તબદીલ હુકમમાં ગેરરીતિ થઈ હોવાનું ધ્યાને આવતા આ કેસ ફરીથી ખોલવામાં આવ્યો છે.જેમાં તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે, આ જમીન સંસ્થાની માલિકીની છે. આથી અગાઉ મદદનીશ ચેરિટી કમિશનરનો ઓર્ડર રદ કરવામાં આવ્યો અને ફરીથી હુકમ કરવામાં આવ્યો છે કે, જમીન કોઈને તબદીલ થઇ ન શકે.