જેતપુર તાલુકાના રબારીકા, જાંબુડી, સેલુકા, મેવાસા, વાળાડુંગરા, હરિપર વગેરે 15 જેટલા ગ્રામ્ય વિસ્તારના લોકોને જેતપુરમાં અવરજવર માટે રબારીકા ચોકડી પર જેતપુર રાજકોટ નેશનલ હાઈવે પરનું ગરનાળુ એક માત્ર રસ્તો છે. પરંતુ આ ગરનાળુ ચોમાસાના ચાર મહિના દરમિયાન ગોઠણડૂબ પાણીથી ભરાયેલ રહે છે. જેથી વાહન ચાલકોને અવરજવર માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
જો વાહન ચાલકો રોડ ઉપરથી ચાલે તો ત્યાં રોંગ બાજુથી ચાલવું પડે જેને કારણે અકસ્માતો સર્જાવાની ભીતિ રહેલી છે. અને ભૂતકાળમાં ઘણા અકસ્માતો પણ સર્જાય ચુક્યા છે. જ્યારે ગરનાળામાંથી ચાલે તો ટુ વ્હીલર પાણીમાં અડધું ડૂબી જાય, કાર તેમજ ઓટો રીક્ષાની અંદર પણ ઘુસી જાય. એટલે આ અન્ડર બ્રીજમાંથી પસાર થાવ તો પાણીમાંથી ગંદા થઈને જ પસાર થવું પડે.