જેતપુરના રાજકોટ રોડ પર શહેરને અડીને જ આવેલ ગામ એટલે પીઠડીયા ગામ. અને અહીંથી જેતપુર રાજકોટ નેશનલ હાઇવે પસાર થતો હોય ત્યાં આવેલ ટોલ પ્લાઝાનું નામ પણ પીઠડીયા ટોલ પ્લાઝા છે.
એટલે અહીંથી યાત્રાધામ સોમનાથ, ગીરઅભ્યારણ, દિવ કે પછી સુદામા નગરી પોરબંદર વાહનોમાં જતા લોકોના પીઠડીયા ટોલ પ્લાઝા પસાર કરીને જવું પડતું હોય ટોલ ચાર્જ કપાય એટલે પીઠડીયા ટોલ પ્લાઝા નામનો મેસેજ દરેક વાહન ચાલકના મોબાઈલમાં અવશ્ય આવે એટલે પીઠડીયા નામથી મોટા ભાગના લોકો વાકેફ હશે.
પાંચ હજારની વસ્તી ધરાવતું પીઠડીયા ગામ રાજાશાહી સમયમાં સ્ટેટ ગણાતું. અને રાજકોટમાં રજવાડાઓ યુવરાજોના અભ્યાસ માટે રાજકુમાર કોલેજની સ્થાપના કરવામાં આવી તેમાં પીઠડીયા સ્ટેટ સ્થાપક પૈકીના એક હતાં. અને તેમના ટ્રસ્ટી તરીકે સ્ટેટના સ્વર્ગસ્થ મહિપાલવાળાનું વર્ષ પૂર્વે જ નિધન થયું.
રાજાશાહી વખતમાં આર્થિક દ્રષ્ટિએ પગભર રહેલા પીઠડીયા ગામના અડધા નાગરિકો ખેતી સાથે જ્યારે બાકીના અન્ય ઉદ્યોગ ધંધા અને જેતપુર સાડી ઉદ્યોગ સાથે સંકળાયેલ હોવાનું ગામના સરપંચ સુરેશભાઇ ગોંડલીયાએ જણાવ્યું હતું.
ગામમાં શિક્ષણની વાત કરીએ તો અહીં સ્ટેટ હોવાથી અહીં જયહિંદ પૂર્વે પ્રાથમિક સ્કૂલ સોમબાઈ પ્રાઇમરી સ્કૂલ આવેલી છે જેમાં આજે પણ શિક્ષણ કાર્ય ચાલુ છે. ગામમાં સરકારી તેમજ ખાનગી થઈ કુલ ત્રણ સ્કૂલ, હાઈસ્કૂલ આવેલી છે. જેને કારણે ગામની સાક્ષરતા સો ટકા છે.