રાજકોટ અને અમરેલી જિલ્લાને જોડતા જેતપુર તાલુકાના અમરનગર ગામથી દેવળકી ગામને જોડતો મુખ્ય માર્ગ લાંબા સમયથી બિસ્માર હાલતમાં હોવાથી આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો અને વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે,
રોડની દયનીય સ્થિતિને લઈ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આ માર્ગનું કામ વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.રાજકોટ- અમરેલી જિલ્લાને જોડતો રોડ જેમાં જેતપુર તાલુકાના અમરનગર ગામથી અમરેલી જિલ્લાનું દેવળકી ગામ જતો અંદાજે ૮ થી ૧૦ કિલોમીટર લાંબો રોડ હાલમાં સંપૂર્ણ રીતે ખખડધજ થઇ ગયો છે.
છેલ્લા 12 વર્ષથી રોડ બન્યો જ નથી રોડની બિસ્માર હાલતને કારણે દરરોજ પસાર થતા વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, અહીંથી દરરોજ વાહન લઈને પસાર થતા મનીષભાઈ રામાણીએ આક્ષેપ કર્યો હતો કે સ્થાનિક તંત્ર અથવા સંબંધિત અધિકારીઓ દ્વારા આ રોડ અંગે કોઈ ધ્યાન આપવામાં આવતું નથી, આગળથી કોઈ મોટું વાહન પસાર થતું હોય ત્યારે ધૂળની ડમરીઓ ઉડવાથી આગળ કંઈ જ દેખાતું નથી, જેના કારણે નાના વાહન ચાલકોને ઉભા રહી જવું પડે છે અને અકસ્માતનો ભય રહે છે, સાથે વાહન ચાલકોનું કહેવું છે કે છેલ્લા બારેક વર્ષથી આ રોડનું નવીનીકરણ કરવામાં આવ્યું નથી,જેના કારણે આજે આ રોડ સંપૂર્ણપણે ખખડધજ બની ગયો છે. બિસ્માર રોડથી હાલ તો વાહન ચાલકો કંટાળી ચૂક્યા છે, પરંતુ મજબૂરીવશ આ જ રોડનો ઉપયોગ કરવો પડી રહ્યો છે.