રાજકોટના કોઠારીયામાં આમ આદમી પાર્ટીની પરિવર્તન સભામાં ગોપાલ ઈટાલિયાએ ભાજપ પક્ષ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં સરકાર નહીં પણ સર્કસ ચાલી રહ્યું છે. વિપક્ષ પર જૂતું ફેંકવાની ઘટનાને વખોડતા તેમણે કહ્યું કે, જૂતું ફેકનારા કાયર છે, જો તેમનામાં ખરેખર તાકાત હોય તો ગાંધીનગર જાય, એ લોકોને ખબર છે ત્યાં ‘વાહા-કાબરા’ કરી નાખે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રના ગામેગામ આમ આદમી પાર્ટી પોતાનું નેટવર્ક મજબૂત બનાવવા કમર કસી રહી છે. ગોપાલ ઈટાલિયાના ધારાસભ્ય બન્યા બાદ સૌરાષ્ટ્ર અને ગુજરાતનો પ્રવાસ કરી પરિવર્તન સભાને સંબોધન કરી રહ્યા છે. ત્યારે ગઈકાલે 17 જાન્યુઆરી શનિવારના રોજ રાજકોટના કોઠારીયામાં રોલેક્સ રોડ ઉપર આમ આદમી પાર્ટીની પરિવર્તન સભા રાત્રે કડકડતી ઠંડીમાં યોજાઈ હતી.
જેમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને નેતાઓના ભાષણ સાંભળ્યા હતાં. આ સભામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, બ્રિજરાજ સોલંકી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને સરકાર પર આકરા પ્રહારો કરી આવનાર ચૂંટણીમાં ભાજપને મત ન આપી ગુજરાતમાં પરિવર્તન લાવી આમ આદમી પાર્ટીને જીતાડવા અપીલ કરી હતી.