જામનગર રોડ પર ટ્રાફિકની સમસ્યા દૂર થશે

રાજકોટ શહેરના પશ્ચિમ વિસ્તાર અને જામનગર હાઈવેને જોડતા અતિ મહત્વના એવા સાંઢીયા પુલના નવનિર્માણ આડે લાંબા સમયથી ચાલી રહેલું વિઘ્ન અંતે દૂર થયું છે. રેલવે ટ્રેક ઉપર ગર્ડર ચડાવવા માટેની અંતિમ મંજૂરી રેલવે વિભાગ દ્વારા આપી દેવામાં આવતા હવે બ્રિજની કામગીરીમાં તેજી આવશે. તંત્ર દ્વારા એવી આશા વ્યક્ત કરવામાં આવી છે કે, માર્ચ-2026 સુધીમાં આ ફોરલેન ફ્લાયઓવરનું કામ પૂર્ણ કરી તેને જનતા માટે ખુલ્લો મૂકી દેવામાં આવશે. ઘણા સમયથી ટ્રાફિકની ગંભીર સમસ્યાનો સામનો કરી રહેલા હજારો વાહન ચાલકોને રાહત મળશે અને જામનગર રોડ પર ટ્રાફિકની સમસ્યા મહદઅંશે દૂર થશે.

જામનગર રોડથી રાજકોટ શહેરમાં પ્રવેશવા માટેના મુખ્ય પ્રવેશદ્વાર સમાન આ દાયકાઓ જૂના સાંઢીયા પુલની હાલત અતિ જર્જરિત અને અસલામત જાહેર કરવામાં આવી હતી. આથી, સુરક્ષાના કારણોસર જૂના પુલને તોડી તેની જગ્યાએ 75 કરોડના ખર્ચે નવા આધુનિક ફોરલેન બ્રિજ બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ શરૂ થયો ત્યારથી જામનગર રોડ પરનો એસટી બસ અને ખાનગી લક્ઝરી બસો સહિતનો તમામ ભારે ટ્રાફિક 150 ફૂટ રિંગ રોડ, રૈયા રોડ અને કાલાવડ રોડ જેવા મુખ્ય રાજમાર્ગો પર ડાયવર્ટ કરવો પડ્યો હતો. જેના કારણે શહેરના આંતરિક માર્ગો પર વાહનોનું ભારણ અસહ્ય વધી ગયું છે અને નાગરિકોને કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાઈ રહેવું પડે છે.

બ્રિજની બંને બાજુના એપ્રોચ રોડ અને પિલરનું કામ તો ઘણો સમય પહેલા પૂર્ણ થઈ ગયું હતું, પરંતુ રેલવે ટ્રેકની બરાબર ઉપર આવતા સેન્ટ્રલ પોર્શનમાં ગર્ડર ગોઠવવા માટે રેલવેની ટેકનિકલ મંજૂરી લેવી અનિવાર્ય હતી. આ પ્રક્રિયામાં થયેલા વિલંબને કારણે મનપા કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને અધિકારીઓ સામે નારાજગી પણ વ્યક્ત કરી હતી. જોકે, હવે તમામ અવરોધો દૂર થયા છે અને રેલવે વિભાગે ગર્ડર ચડાવવા માટે ‘બ્લોક’ લેવાની મંજૂરી આપી દીધી છે. ટ્રેનોની અવરજવરને અસર ન થાય તે રીતે આ કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *