જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત શ્રાવણી લોકમેળાએ લોકોમાં ભારે ઉત્સાહ જગાવ્યો છે. પ્રદર્શન મેદાનમાં યોજાયેલા આ મેળામાં સાતમ, આઠમ અને નોમના ત્રણ દિવસ દરમિયાન અંદાજે અઢી લાખ લોકોએ હાજરી આપી છે. વરસાદી માહોલ વચ્ચે પણ મેળાની રોનક જળવાઈ રહી હતી. ખાસ કરીને જન્માષ્ટમીના દિવસે સાંજે બે વખત મોટાં વરસાદી ઝાપટાં પડ્યાં હતાં છતાં શહેરીજનોએ મેળાની મજા માણવાનું ચાલુ રાખ્યું હતું.
જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુના નેતૃત્વમાં સુરક્ષાની મજબૂત વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. મેળા મેદાનમાં હંગામી પોલીસચોકી ઊભી કરવામાં આવી હતી. 50થી વધુ સીસીટીવી કેમેરા અને બે વોચ ટાવર દ્વારા સતત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ટ્રાફિક વ્યવસ્થાપન પણ પ્રશંસનીય રહ્યું હતું. મેળા સ્થળની નજીક એસ.ટી. ડિવિઝન હોવા છતાં જ્યાં દૈનિક 1000થી વધુ બસો આવ-જા કરે છે, કોઈ ટ્રાફિક સમસ્યા સર્જાઈ નહોતી.
તમામ એસ.ટી. રૂટ નિયમિત રીતે કાર્યરત રહ્યા હતા. મહાનગરપાલિકાએ સફાઈ વ્યવસ્થા પર પણ વિશેષ ધ્યાન આપ્યું હતું. મેળા પરિસરમાં ઠેર-ઠેર ડસ્ટબિન મૂકવામાં આવ્યાં હતાં. દરરોજ રાત્રે મેળો પૂર્ણ થયા બાદ સફાઈ કરવામાં આવતી હતી અને કચરો ટ્રેક્ટર મારફત યોગ્ય સ્થળે મોકલવામાં આવતો હતો.