ચોમાસામા વરસાદના આગમન થી પશુ પક્ષી સહિત મનુષ્યને અનેરો આનંદ હોય તે સ્વાભાવિક છે. વરસાદની સાથે સાથે આ ઋતુમાં માખી મચ્છર અને જીવાતનો ઉપદ્રવ પણ ખાસ્સો જવા મળે છે.
જામકંડોરણા તાલુકાના ધોળીધાર ગામમાં એક મહિલા સહિત ત્રણ વ્યક્તિઓને કોઈ જીવાત કરડવાથી દવાખાને સારવાર હેઠળ ખસેડાયા છે.
આ અંગેની વધુ મળતી માહિતી મુજબ જામકંડોરણા તાલુકાના ધોળીધાર ગામે એક મહિલા સહીત ત્રણ વ્યક્તિને આ ઝેરી જીવાત કરડવાથી બિમારીમાં પટકાયા છે. આ ઝેરી જીવાતના ઇન્ફેક્શનથી બીપી લો થઈ જવું, ડાયાબિટીસ વધી જવું, અને શરીરમાં જે જગ્યા જીવાતુ કરડી હોય તે જગ્યાએ રસી થવા લાગે તેવા ચિન્હો જોવા મળી રહ્યા છે. આથી લોકોમાં ભયનું લખલખું પ્રસરી જવા પામ્યું છે. ધોળીધાર ગામમાં ત્રણ વ્યક્તિને ગંભીર બિમારી લાગૂ પડતાં તેમને ગોંડલની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
જો કે હજુ સુધી એ સામે નથી આવ્યું કે આવું શા માટે થઇ રહ્યું છે અથવા તો આ જીવાતો કઇ છે! સંબંધિત તંત્ર આ બાબતે રિપોર્ટ તૈયાર કરે, દવાનો છંટકાવ કરે અને લોકો આવી બીમારીમાં ન સપડાય તે માટે ફોગિંગ સહિતની કાર્યવાહી કરે તેવી લોકોમાંથી માગણી ઉઠી છે. તો બીજી તરફ માત્ર ચૂનાનો છંટકાવ નહીં, દવાનો છંટકાવ કરવામાં આવે તેવી માગણી કરાઇ છે.